Thursday 28 January 2010

હિતેન કુમારનો મુક અભિનય બોલે છે

          હમણાં એક ફિલ્મ જોઈ. તેનું નામ છે, ''રાધા મારા રુદિયાની રાણી''. આ ફિલ્મની સૌથી મજાની વાત એ છે કે ફિલ્મનો નાયક મૂંગો છે. વગર બોલ્યે દર્શકો સુધી એક એક સંવાદ પહોચાડવાનો.. એટલે અભિનય ક્ષમતાની પૂરે પૂરી કસોટી. આ કસોટીમાં પર ઉતર્યા હિતેન કુમાર. આ ફિલ્મ મેં ત્રીજા અઠવાડિયે જોઈ. જોવા ગયો ત્યારે ત્રીજું સપ્તાહ હોઈ દર્શકો ઓછા હતા, પણ જેટલા હતા એ સૌને ફિલ્મ ભલે ના ગમે પણ હિતેન કુમારનું કિરદાર ગમી ગયું હશે એની સો ટકા ખાતરી. 
              વિમલ અને રાધા નામના બે ભાઈ બહેન, અને તેમનો લાખો નામનો ધરમનો ભાઈ.. ત્રણેય વચ્ચેના હેતના બંધનની આંટીઘૂંટીની વાત છે આ ફિલ્મમાં. મૂંગા વિમલના જીવનમાં આવતી એક પછી એક મુશ્કેલી અને તેનો વિમલ કઈ રીતે સામનો કરે છે તેનું નિરૂપણ કરાયું છે આ ફિલ્મમાં.     વિમલ અને પૂજાની પ્રેમ કહાણી પાંગરે એ પહેલા જ કરમાઈ જાય તે કરુણતા બતાવી છે આ ફિલ્મમાં.   પ્રેમિકાના મોત બાદ આક્રંદ કરતા હિતેન કુમારને જોઈ રૂવાંટા ચોક્કસ ઉભા થઇ જાય. તો સપના અને લાખાની પ્રેમ કહાણી શરુઆતમાં ગલગલીયા કરાવે છે. વાત રહી ત્રીજી પ્રેમ કહાણીની. તો નીતિન અને રાધાની પ્રેમ કહાણી સાવ સરળ બતાવી છે. વળી ગળાડૂબ પ્રેમ કરતો નીતિન અચાનક વિશ્વાસ ખોઈ બેસે અને પોતાની પ્રેમિકાને બેવફા માનવા લાગે એ સ્વીકારવું અઘરું લાગ્યું. 
આખી ફિલ્મ જોયા પછી એક વિચાર આવ્યો.. જો આ ફિલ્મમાં હિતેન કુમારના ભાગે બોલવાનું આવ્યું હોત તો.. ? કારણ કે, એક પણ સંવાદ બોલ્યા વગર હિતેન કુમારના નામે ફિલ્મ બોલે છે. આખી ફિલ્મ હિતેન કુમાર, જીત ઉપેન્દ્ર અને વિભૂતિ ખેંચી જાય છે. ગાયકમાંથી નાયક બનવા આવેલા નીતિન બારોટનો આખીયે ફિલ્મમાં ક્યાય ગજ વાગતો નથી. હિતેન કુમાર-કિરણ આચાર્ય, જીત ઉપેન્દ્ર- સપના અને નીતિન- વિભૂતિ એમ ત્રણેય જોડી વચ્ચે પાંગરતી પ્રેમ કહાણી આ ફિલ્મમાં બતાવી છે. આ જોડીઓમાં નીતિન સાવ નવો નિશાળીયો છે એ ચોખ્ખું દેખાઈ આવે છે. દેખાવે પણ દર્શકો તેને નાયક તરીકે સ્વીકારે એ વાત ગળે ઉતરે તેવી નથી. વળી, વિરહી ગીતોનો દર્દીલો ગાયક નીતિન બારોટ પહેલી વાર પરદા પર કહી ને જે રીતે તેને પ્રમોટ કરાયો, તે જ વાત સાબિત કરવા પરાણે દર્દીલા વિરહી ગીતો તેની પાસે કલાઈમેક્સમાં ગવરાવ્યા એ સહન કરવું પણ અઘરું હતું. કારણ જે રીતે કલાઈમેક્સ જામ્યો હતો ત્યારે વચ્ચે વચ્ચે એ ગીત અને શાયરીનો મારો ચલાવાય એ દર્શકને કઈ રીતે પસંદ પડે ? 
એક ગાયક  નાયક તરીકે ચાલી જાય એટલે પાછળ બીજા ગાયકોને નાયક તરીકે લઇ ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ જે રીતે શરુ થયો છે એ કદાચ નિર્માતાને થોડોક આર્થિક લાભ કરાવી જાય.. અથવા ચાલી ગયેલા ગાયક સામે બીજા ગાયકને ઉતર્યાનો માનસિક સંતોષ મળે.. પણ એ સંતોષ લાંબે ગાળે ફિલ્મ ઉદ્યોગને નુકસાન પહોચાડનાર છે એ કેમ ભૂલી જવાય છે ? ગાયકને ગાયક રહેવા દો, નાહકના નાયક બનાવી તેમને દર્શકોની નજરમાંથી શા માટે ઉતારો છો ? 

No comments:

Post a Comment